જાગૃત પીએમઓ
એમ કહેવાય છે કે દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીવે. આ કહેવત આજકાલ વડાપ્રધાન મનમોહનસિંહ અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી માટે સાચી ઠરી રહી છે. અગાઉ વડાપ્રધાન તેમની કચેરીના અધિકારીઓ પર સંપૂર્ણ વિશ્વાસ કરતા હતા. સોનિયા ગાંધી પણ પીએમઓના નિર્ણયો પર આંખો મૂકીને વિશ્વાસ કરી લેતા હતા કે નિર્ણય મનમોહનનો જ હશે. પણ હવે સ્થિતિ પલટાઇ છે. પૂર્વ સીવીસી થોમસની નિયુ્ક્તિથી માંડીને વિદાય સુધી વિપક્ષ અને અદાલત દ્વારા સરકારની આકરી ટીકા કરવામાં આવી તેના કારણે બંને નેતા જાગૃત થઇ ગયાં છે. આગામી મહિને કેન્દ્ર સરકારમાં કેબિનેટ સ્તરના લગભગ ૧૬ ઉચ્ચ પદાધિકારીઓની નિયુક્તિ થવાની છે. એવું જાણવા મળ્યું છે કે વડાપ્રધાન અને ૧૦ જનપથના એક ખાસ અધિકારીને આ હોદ્દાઓ માટે અધિકારીઓની યાદી તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું પડશે કે છેલ્લા ૧૫ વર્ષનો તેમનો કાર્યકાળ સ્વચ્છ હોય.
સમર્પણની ભૂમિકામાં
એમ લાગી રહ્યું છે કે દ્રમુકના વરિષ્ઠ નેતા કોંગ્રેસ હાઇકમાન્ડના શરણે થઇ ગયા છે. પરિસ્થિતિ જોઇને તો એમ લાગી રહ્યું છે કે વિધાનસભા ચૂંટણીમાં તેઓ હાંસિયામાં ધકેલાઇ જશે. તેથી તેમને એમ લાગ્યું કે કેન્દ્રમાં પોતાની રજૂઆત દ્રઢતાથી કરવી જોઇએ જેથી ભવિષ્યમાં જયલલિતાના પ્રકોપથી બચી શકાય. તેથી રાજા વિરૂદ્ધ ચાલતી કાર્યવાહી સામે દ્રમુકના તમામ નેતાઓ આંખ મિંચામણા કરી રહ્યા છે. જો કે દ્રમુક નેતા કરૂણાનિધિએ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ સુધી ટુ જી સ્પેક્ટ્રમની તપાસ રોકી રાખવા માટે કોંગ્રેસ હાઇકમાન્ડને મનાવી લીધું છે. સરકારે પણ ન કેવળ આ વાત માની લીધી છે પરંતુ એ પણ સ્વીકાર્યું છે કે વડાપ્રધાન અથવા કોંગ્રેસ પાર્ટીના કોઇ અન્ય નેતા રાજ્ય વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન દ્રમુક પર સીધો આરોપ નહીં મૂકે.
યાદવ છાપ સલાહ
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા પાછલા દિવસોમાં અન્નાની મુલાકાત લેવા ઇચ્છતા હતા. હઝારે લોકપાલ ખરડાનો દાયરો વધારવાની માગ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. પરંતુ તેઓ મંચ પર જાય તે પહેલાં જ કાર્યકર્તાઓએ તેમને ત્યાંથી વિદાય કરી દીધા હતા. આવા જ હાલ ઉમા ભારતીના પણ થયા હતા. અન્નાએ ઉમાની તો માફી માગી લીધી પણ ચૌટાલા અંગે હરફ નહોતો ઉચ્ચાર્યો. જદયુના પ્રમુખ શરદ યાદવ પણ ગયા હતા પરંતુ લોકોનો મૂડ જોઇ ત્યાંથી જ પાછા ફરી ગયા હતા. તે પછી કોઇ રાજકીય નેતાએ અન્નાની મુલાકાત લેવાની હિંમત કરી નહોતી. મુલાયમ પણ ત્યાં જવા માગતા હતા. તેમણે શરદ યાદવ સાથે વાત પણ કરી પરંતુ શરદે તેમને જણાવ્યું કે ત્યાં વાતાવરણ બહુ ઉગ્ર છે. ત્યાં જો અપમાન થશે તો સમગ્ર દેશમાં બદનામી થશે. મુલાયમને શરદની વાતમાં દમ લાગ્યો અને તેમણે લેખિત સમર્થનની અપીલ જારી કરી દીધી.
ચિદમ્બરમની સલાહ
કહેવાય છે કે કેનિ્દ્રય ગૃહમંત્રાલય સાથે સંકળાયેલી વીવીઆઇપીઓની સુરક્ષાનું ધ્યાન આપતી હાઇ પાવર કમિટિએ વિશ્વકપ ફાઇનલ પછી દિલ્હીમાં સોનિયા ગાંધીએ જે રીતે લોકોની મધ્યે જઇ ઉજવણી કરી તેની સામે વિરોધ નોંધાવ્યો છે. આ સંદર્ભમાં ચિદમ્બરમે જાતે સોનિયા ગાંધીની મુલાકાત લીધી હતી. આમ તો બહાનું ચાર રાજ્યો અને વિશેષ તમિળનાડુની વિધાનસભાની ચૂંટણીના વાતાવરણના સંદર્ભમાં કારોબારીની બેઠકમાં ઉઠાવવામાં આવેલા મુદ્દા પર ચર્ચા કરવાનું હતું પરંતુ ચિદમ્બરમે મેડમને સમજાવ્યા કે તેઓ અને તેમના પરિવારના સભ્યો ઝેડ પ્લસ સુરક્ષા દાયરામાં આવે છે. જે રીતે સોનિયા ફાઇનલની રાતે લોકોને મળ્યા તે ભાવના બરાબર હતી પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ તેમણે એમ કરવું જોઇએ નહીં.
દાદાના કૂટનીતિક જવાબો
મામલો નાના રાજ્યોની રચનાનો હોય કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધોનો, પ્રણવદા હાલમાં ૩૫થી વધુ મંત્રી સમિતિઓના અધ્યક્ષ છે. જ્યારે લોકપાલ ખરડાના મુસદ્દાની વાત આવી તો આ નવી જવાબદારી પણ તેમને સોંપવામાં આવી હતી. દરમિયાન પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનો બોજો પણ તેમના પર આવી ગયો હતો. આટલી બધી જવાબદારીઓના કારણે દાદા થોડા ચીડાઇ ગયા છે. ગયા સપ્તાહની વાત છે. અન્નાના ઉપવાસના પ્રારંભ સાથે સરકાર વિચલિત થઇ હતી. પ્રણવદા પશ્ચિમ બંગાળથી નીકળી રહ્યા હતા. તેમને કહેવામાં આવ્યું કે વડાપ્રધાનનો ફોન છે. દાદાએ ધૈર્યથી વાત કરી અને સરકાર તરફથી વાત કરવા કપિલ સિબ્બલનું નામ સૂચવ્યું હતું. દાદા માને છે કે આ પ્રકારના કામો માટે સરકારે સેકન્ડ લાઇન લીડરશીપ તૈયાર કરવી જોઇએ કારણ કે ભવિષ્યમાં પણ આ પ્રકારના પડકારો આવશે. તેઓ એકલા ક્યાં સુધી આ પ્રકારના વિવાદો હાથ ધરતા રહેશે?
હિઝ માસ્ટર્સ વોઇસ
ભય અને ભ્રષ્ટાચારમુક્ત શાસન આપવાના વાયદા કરતો ભાજપ લોકપાલ ખરડા પર ચૂપ છે. નિતિન ગડકરીએ જો કે ભ્રષ્ટાચારની સામેની નાગરિક સમાજની ચળવળની પ્રશંસા કરી છે પરંતુ જે રીતે ઉમા ભારતીને ઉપવાસ સ્થળેથી હાંકી કાઢવામાં આવ્યાં ત્યારથી ભાજપ દૂર રહીને જ અન્નાના આંદોલનને સમર્થન આપે છે. એ અલગ છે કે ભાજપ સાથે સંકળાયેલા ટે્રડ યુનિયનોએ આંદોલનમાં સક્રિય ભાગ લીધો હતો. એવું નથી કે ભાજપે આ આંદોલનમાં જોડાવાનો વિચાર કર્યો ન હતો પરંતુ નેતાગીરીએ આ આંદોલનમાં જોડાવાની મનાઇ ફરમાવી હતી.
પ્રમોદ કુમાર
આગેકૂચ
બી મથુરામન
અધ્યક્ષ સીઆઈઆઈ
ટાટા સ્ટીલના વાઈસ ચેરમેન બી મથુરામનને કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ(સીઆઈઆઈ)ના નવા અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા છે. તેઓ હરિ એસ ભરતીયાનું સ્થાન લેશે. ૧૯૬૬માં તેઓ ટાટા સ્ટીલ સાથે જોડાયા હતા.
શેન વોટસન
ક્રિક્રેટર,ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન શેન વોટસને બાંગ્લાદેશમાં ચાલી રહેલી વન જે શ્રેણીમાં માત્ર ૯૬ બોલમાં ૧૮૫ રન ફટકારીને રેકોર્ડ તોડ્યો છે. વોટસને પોતાની ઈનીંગ્સમાં પંદર ફોર અને એટલીજ સિકસ્ર ફટકારી હતી. વોટસને વન ડેમાં સૌથી વધુ સિકસર ફટકારવાનો રેકોર્ડ કર્યો છે.
પીછેહઠ
પી શંકર
ટેક્સટાઈલ પ્રધાન
આંધ્રપ્રદેશના ટેક્સટાઈલ પ્રધાન પી શંકરે પોતાના પીએને સરેઆમ જાહેરમાં માર માર્યો હતો. પીએનો વાંક એટલો જ હતો કે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં તેમનો રણકતો ફોન ઉઠાવ્યો નહોતો. પ્રધાન તે વખતે મીડિયાને સંબોધી રહ્યા હતા.
મધુ કોડા
ભૂતપૂર્વ ઝારખંડ
સીબીડીટીના ભૂતપૂર્વ અધ્યક્ષ પીકે મિશ્રાની અધ્યક્ષતામાં રચાયેલી એજ્યુકેટિંગ ઓથોરિટીએ ગયા સપ્તાહે ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મધુ કોડાની રૂ. ૧૨૩ કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરવા માટેનો આદેશ આપ્યો છે. મધુ કોડા સામે ભ્રષ્ટાચારના સંખ્યાબંધ કેસ ચાલે છે.
વાદ-વિવાદ
અન્ના હઝારે
સામાજિક કાર્યકર્તા
જો સિબ્બલને લોકપાલ વિધેયક ફાલતુ લાગતું હોય તો તેમણે આ અંગેની સમિતિમાંથી રાજીનામું આપવું જોઈએ
કપિલ સિબ્બલ
કેનિ્દ્રય સંદેશાવ્યવહાર પ્રધાન
અન્નાજી મારું રાજીનામું કેમ માગે છે? લોકપાલ અને લોકોની સમસ્યાઓનો દાયરો અલગ છે
પ્રકાશસિંહ બાદલ,
મુખ્યપ્રધાન,પંજાબ
જન લોકપાલ બિલની માગણી સાથે ભૂખ હડતાળ પર બેઠેલાઓને કશું મળવાનું નથી. આ દેશમાંથી કરપ્શન ક્યારેય જઈ શકે નહીં.
ટી વી પાઈ,
હ્યુમન રિસોર્સ ડિરેક્ટર, ઈન્ફોસીસ
જો તમે ખિસ્સાં ગરમ ના કરો તો ઓફિસોમાં તમારું કામ થવામાં વિલંબ થાય છે. ઘણી વાર તો તમારી ફાઈલ પણ ગુમ થઈ જાય છે.