તમે માનો છો કે, મદરેસાનું શિક્ષણ મુસ્લિમ બાળકને માત્ર ઈસ્લામનું શિક્ષણ આપે છે અને તે ત્યાંને ત્યાંજ પોતાનું જીવન પૂરું કરી નાંખે છે? તમે એમ પણ માનો છો કે વિદ્યાર્થીને મદરેસામાં ઈસ્લામની જ તાલિમ અપાય છે અને તેનું શિક્ષણ માત્ર ધર્મ પૂરતું જ હોય છે. પણ તમારી આ માન્યતામાં હવે તમારે ફેરફાર કરવો પડે તેમ છે. ભારતમાં મદરેસાઓમાં હવે થિયોલોજી- ધર્મશાસ્ત્ર ઉપરાંત પણ ઘણું શીખવવામાં આવી રહ્યું છે.
અહીં માત્ર હિન્દુ ધર્મ પાળતાં બાળકો જ એડમિશન લેતાં થયાં નથી પણ ધર્મ શાસ્ત્રની સાથે સાથે આધુનિક વિજ્ઞાન પણ એટલા જ રસથી ભણાવાનું શરૂ થયું છે. ઘણી મદરેસાઓમાં બિન મુસ્લિમ વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં પણ સ્થાન પામ્યા છે.
હેમલત્તાનો જ કેસ લઈએ. કુર્રાન તેને મોંઢે છે. બિહારના ખગૌલ મદરેસાની આ વિદ્યાર્થિની દેશની પ્રથમ બિન મુસ્લિમ હાફિઝ બની છે. જે વ્યક્તિને આખું કુર્રાન કંઠસ્થ હોય છે તેને હાફિઝની ડિગ્રી એનાયત કરાય છે. હિન્દુઓમાં તે એકલી જ હાફિઝ થઈ નથી પણ તેનો ભાઈ પણ આ પદ મેળવે તેવી શક્યતા છે. બિહારની મદરેસાઓમાં આ બે ભાઈ બહેન ઉપરાંત બીજાં એવાં ઘણાં હિન્દુ વિદ્યાર્થીઓ છે જેઓ મુસ્લિમ બાળકો સાથે મળીને મદરેસાનું શિક્ષણ લઈ રહ્યાં છે. મદરેસા બનાત કિશોરી તૈયબાના વડા મૌલાના મઝહર-ઉલ-હક ધ સન્ડે ઈન્ડિયનને કહે છે,‘અમે દર વર્ષે ચાથી પાંચ બિન મુસ્લિમ વિદ્યાર્થીઓને મદરેસામાં ભણવા માટે એડમિશન આપીએ છીએ. તેઓ જ્યારે અહીંથી તેમનું શિક્ષણ પૂરું કરીને જાય છે ત્યારે અરબી ભાષામાં પારંગત થઈ ગયાં હોય છે અને તેમને કુર્રાન પણ સરળતાથી વાંચતાં આવડી ગયું હોય છે.’
પટણાની મદરેસા ઈમાદુલ ઉલુમમાં ભણતી ૧૮ વર્ષની અંજલી રાજ આ પરંપરામાં જોડાનાર નવો ચહેરો છે. તેણે ફૌકાનિયા(ધોરણ ૧૦)-માં પરીક્ષામાં ૮૦૫ માર્કસ મેળવ્યા છે. આજે મદરેસા વર્તુળમાં તે સેલિબ્રિટી તરીકે ઓળખાય છે. ‘ઘણાં પત્રકારોએ તેનો ઈન્ટરવ્યૂ કર્યો છે. છેક દિલ્હીથી લોકો તેને મળવા માટે આવે છે. મારા માટે આ બહુ મોટી વાત છે,’ તેમ તેના પિતા અજય રાજ ગર્વથી કહે છે.
તેઓ કહે છે, ‘મેં જ તેની પર ઉર્દૂ ભણવા માટે દબાણ કર્યું હતું. આજે મને મારા એ નિર્ણય પર કોઈ અફસોસ નથી. જુઓ, આજે તેની સિધ્ધિ માટે તેના ઈન્ટરવ્યૂ થઈ રહ્યા છે. મારે સંખ્યાબંધ મુસ્લિમ મિત્રો છે. મારી પુત્રી ઉર્દૂ અને અરબી શીખે તે માટે હું પહેલેથી પ્રયાસ કરતો હતો. જ્યારે તેના ઉર્દૂના શિક્ષક વાઈઝુદ્દીન રહેમાને મને તેને મદરેસામાં ભણાવવા માટે સલાહ આપી ત્યારે તે મેં માની લીધી હતી. કારણ કે, તેનાથી તેને આઈએએસની પરીક્ષાની તૈયારીમાં મદદ મળી રહેશે.’
જો કે, અંજલીને પ્રારંભમાં તો ઘણાં પૂર્વગ્રહો હતા. હકીકતમાં, તો પહેલા દિવસે તેણે એક ઈંગ્લીશ માધ્યમની વિદ્યાર્થિની તરીકે વીતાવ્યો. તેને સારું લાગ્યું. ‘મારા માટે દરે વસ્તુ નવી હતી. પણ હું નર્વસ હતી. મારે મદરેસામાં શિક્ષણ લેવા માટે જવું નહોતું. પહેલા દિવસે જ્યારે ક્લાસ પત્યા ત્યારે હું ખૂબ રડી હતી,’અંજલિ ધ સન્ડે ઈન્ડિયનને કહે છે. તેના પર્સનલ ઉર્દૂ શિક્ષકે તેને ખૂબ હૈયાધારણ આપી. તેમણે અંજલિને કહ્યું કે તેને આ વાતાવરણમાં ફિટ છતાં થોડો વખત લાગશે. એક વાર, હું વાતાવરણ સાથે તાલમેલ સાધી લઈશ પછી તો બધું સાધારણ થઈ જશે. ‘અને તમે નહીં માનો મને થોડા દિવસોમાં તો મદરેસાનું શિક્ષણ ગમવા માંડ્યું,’ તેમ અંજલિ કહે છે. અંજલિ હવે મદરેસામાંથી મૌલવીની ડિગ્રી મેળવવા માગે છે. તે એવું માને છે કે ઉર્દૂ ભાષા શીખવાને કારણે તેને આઈએએસની પરીક્ષામાં સરળતા રહેશે. અંજલીની નાની બહેન ચોથા ધોરણમાં ભણે છે અને તે પણ ઉર્દૂ શીખી રહી છે. તેને પણ આ ભાષા માટે જબરદસ્ત ચાહના છે. તે રોજ એક નવો શબ્દ શીખે છે. ‘મને વિશ્વાસ છે કે એક દિવસ હું મારી મોટી બહેન કરતાં પણ વધુ સારી રીતે ઉર્દૂ બોલીશ,’તેમ મુસ્કાન કહે છે. આ વર્ષે ૧૦૦ જેટલાં બિન મુસ્લિમ વિદ્યાર્થીઓએ બિહાર સ્ટેટ મદરેસા એજ્યુકેશન બોર્ડ(બીએસએમઈબી)માંથી મૌલવી(૧૨ ધોરણ), ફૌકાનિયા(ધોરણ ૧૦) અને વસ્તાનિયા(મિડલ લેવલ) પરીક્ષાઓ પાસ કરી છે. બીએસએમઈબીના ચેરમેન મૌલાના એજાઝ અહેમદ કહે છે, ‘સૌથી હકારાત્મક બાબત એ છે કે આ બાળકોના વાલીઓ એવું માને છે કે મદરેસાનું શિક્ષણ તેમને મળતા સમાંતર શિક્ષણ કરતાં વધારે સારું છે. તેના કારણે તેમના બાળકોમાં શિસ્તનો સંચાર થાય છે.’
બિહારના અરણિયા જિલ્લાના બરદાહા ગામના અને મદરેસામાં ભણતી પૂજા કુમારીના પિતા લક્ષ્મી નારાયણ તેમની દીકરી ઉર્દૂ વાંચતા શીખી જાય તે માટે સતત પ્રયાસરત છે. આ માટે તેમણે દીકરીને મદરેસામાં જ દાખલ કરી નથી પણ તેના માટે તેમણે પર્સનલ ટ્યુશન પણ રાખ્યું છે. ‘મદરેસામાં મારી દીકરીને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. હવે તે કુર્રાનની આયતો પણ પઢી શકે છે. હું સ્પષ્ટપણે માનું છું કે મદરેસામાં મળતું શિક્ષણ રેગ્યુલર સ્કૂલ કરતાં સારું છે,’તેમ તે કહે છે. પૂજાના ભાઈ સૂરજ નારાયણ અને શિવ નારાયણ પણ મદરેસામાં ભણે છે. લક્ષ્મી નારાયણ કહે છે કે મદરેસામાં ઈસ્લામી શિક્ષણ આપવામાં આવે છે તે વાત સદંતર ખોટી છે.
બિહારમાં મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓ કોઈ પણ કક્ષાની પરીક્ષામાં મુસ્લિમ વિદ્યાર્થીઓ કરતાં આગળ નીકળી રહ્યાં છે. મદરેસા ઈસ્લામિયામાં ભણતી બહેનો પ્રીતમકુમારી અને પ્રિયંકા કુમારીએ તેમની મૌલવી તરીકેની પરીક્ષા પાસ કરી દીધી છે. બેગુસરાઈ સ્થિત ઉર્દૂના શિક્ષક કૃષ્ણકાન્ત મુરારી ધ સન્ડે ઈન્ડિયનને કહે છે, ‘મને મદરેસામાં દાખલ કરવાનો નિર્ણય મારા પિતાનો હતો. મને પણ મદરેસામાં કશું અસાધારણ લાગતું નહોતું. પણ મારા માટે થોડો કપરો સમય ત્યારે આવ્યો જ્યારે કેટલાક લોકોએ મારો વિરોધ કર્યો. તેઓ ઈચ્છતા નહોતા કે મદરેસામાં કોઈ હિન્દુ ભણવા માટે આવે. મદરેસાના આચાર્યને પણ તેમના સમુદાયમાંથી આ અંગે વિરોધનો સામનો કરવાનો આવ્યો. જો કે, તેઓ કોઈ પણ દબાણને વશ ન થયા.’
તે કહે છે કે મદરેસાઓમાં રેગ્યુલર સ્કૂલો કરતાં વધારે સારું શિક્ષણ અપાય છે પણ તેમના શિક્ષકોની સાથે સરકાર સારો વર્તાવ કરતી નથી. તેમને બેન્ક લોન પણ મળતી નથી. રાજ્ય સરકારે આ વિસંગગતા દૂર કરવી જોઈએ, તેમ તે માને છે. શમ્સ-ઉલ-હુદા મદરેસાના આચાર્ય મૌલાના અબ્દુલ કાસ્મી કહે છે કે તેમણે હિન્દુઓના મહાગ્રંથ રામાયણ વિશે એક દિવસનો સેમિનાર પણ યોજ્યો હતો. તેઓ માને છે કે મદરેસાઓ નીતિશાસ્ત્રનું શિક્ષણ આપવા માટે જાણીતી છે અને તે એક રીતે જોઈએ તો રાષ્ટ્રિય સંપત્તિ છે. સંજયકુમાર, અંજલિ રાજ, બાલકૃષ્ણ શાહ અને સનમ કુમારીમાં તેઓ હિન્દુ હોવા ઉપરાંત એક વાત સામાન્ય છેઃ તેઓ સૌ ફૌકાનિયા અને મૌલવીની પરીક્ષાઓમાં ટોપ પર રહ્યાં છે. સંજયકુમારે મૌલવીની પરીક્ષામાં ૧૦૦૦માંથી ૮૯૩ માર્કસ મેળવ્યા છે. જ્યારે અંજલિ રાજે ફૌકાનિયાની પરીક્ષામાં ૧૦૦૦માંથી ૮૦૫ માર્કસ મેળવ્યા છે. દસ બિન મુસ્લિમ વિદ્યાર્થીઓએ તેમની જે તે પરીક્ષાઓમાં ટોપ રેન્ક મેળવ્યો છે. બિહારમાં ચાર હજારથી વધારે મદરેસાઓ છે. તેમાં ૧૧૧૮ મદરેસાઓ સરકાર સંચાલિત છે. છોકરીઓ માટેની ૩૨ મદરેસાઓ સરકારી ગ્રાન્ટ પર ચાલે છે જ્યારે બાકીની ૫૭૬ને કોઈ અનુદાન મળતું નથી.
કેટલાક શંકાશીલો એવો દાવો અને શંકા વ્યક્ત કરે છે કે બિન મુસ્લિમ લોકો એટલા માટે મદરેસાનું શિક્ષણ પસંદ કરે છે કેમકે, આ સ્કૂલોમાં પરીક્ષા યોગ્ય અને વૈજ્ઞાનિક રીતે લેવાતી હોતી નથી. તેનું પરિણામ એ આવે છે કે કોઈ પણ વિદ્યાર્થી આ પરીક્ષાઓમાં સારા માર્કસ મેળવીને પાસ થઈ શકે છે. પરીક્ષાઓમાં યોગ્ય ધ્યાન પણ અપાતું નથી તેથી વિદ્યાર્થીઓ સરળતાથી ચોરી કરીને પાસ થઈ જાય છે. જો કે, અરાહની વીર કુંવર યુનિવર્સિટીના લેકચરર તઈક ઈમાદી આ આક્ષેપોને ખોટા ઠેરવતાં કહે છે,‘ મદરેસાઓની પરીક્ષામાં ચીટીંગની કોઈ ઘટના બનતી નથી. વધુમાં, અહીં ધાર્મિક પેપર જ આંતરિક રીતે તપાસાય છે. જ્યારે બાકીના તમામ વિષયોના પેપર્સ યુનિવર્સિટીના લેકચરર્સ ચકાસે છે.’
ઉત્તરપ્રદેશના દેવરિયા જિ્લ્લામાં તો મદરેસાઓમાં સંસ્કૃતના શ્લોકો સાથે કુર્રાનની આયતો પઢાવાય છે. બિશ્વા મદરેસાના વડા મહંમદ અહેમદ રઝા કહે છે, ‘અમારે ત્યાં ૧૨ બિન મુસ્લિમ વિદ્યાર્થીઓ છે અને અમારા શિક્ષકો તેમને નિઃશુલ્ક શિક્ષણ આપે છે. કેમ્પસમાં બે સમુદાયના વિદ્યાર્થીઓ વચ્ચેના આદાન પ્રદાનને કારણે બંને સમુદાય વચ્ચેનું ઐક્ય પણ વધે છે.’
પશ્ચિમ બંગાળમાં પણ મદરેસાઓમાં બિન મુસ્લિમો મોટી સંખ્યામાં ભણવા માટે જાય છે. મદરેસાઓની રેગ્યુલર સ્કૂલોની જેમ વધી રહેલી લોકપ્રિયતા પાછળ જવાબદાર કારણ એ છે કે તેઓ હવે માત્ર ધર્મશિક્ષણ એકલુંજ આપતી નથી.તેઓ સંપૂર્ણ રીતે આધુનિક શિક્ષણ આપી રહી છે. એવા પણ અહેવાલો છે કે પશ્ચિમ બંગાળમાં તો હિન્દુ વિદ્યાર્થીઓની સંખ્યા મુસ્લિમો કરતાં વધી રહી છે. ચાર મદરેસામાં હિન્દુ વિદ્યાર્થીની સંખ્યા ૫૭ ટકાથી ૬૪ ટકા જેટલી નોંધાઈ છે.
માત્ર મુસ્લિમો જ મદરેસાઓમાં ભણે છે તે ખ્યાલ પણ હવે ખોટો પડવા માંડયો છે. મદરેસાઓના અભ્યાસક્રમમાં કમ્પ્યુટરનું શિક્ષણ ફરજિયાત થઈ ગયું છે, તેમ જાણીતી મદરેસા મઝાહિરુલ ઉલુમના મૌલવી રાહત મઝાહિરી કહે છે. મદરેસામાં શિક્ષણ મેળવવા માટે બિન મુસ્લિમોમાં પણ વિશેષ રસ જાગી રહ્યો હોવા પાછળનું કારણ એ પણ છે કે હવે એક વખતની આ રુઢિચુસ્ત કહેવાતી સંસ્થાઓમાં દવેઆધુનક શિક્ષણનો પ્રવેશ થઈ ચુક્યો છે. તેમાં માત્ર ઉર્દૂ, અરબી કે ઈસ્લામ સંબંધી શિક્ષણ પર જ ભાર મુકાતો નથી. ખાસ કરીને, તેણે કેળવણી પર વધારે ધ્યાન આપવા માંડ્યું છે.
(વિશેષ માહિતીઃ તનવીર અહેમદ, દાનિશ રિયાઝ અને રાજન પ્રકાશ)